/connect-gujarat/media/post_banners/7ae92aff5d70199b9b9d500f2099a215e8c2591229b1c7f32aacd1ba6751da39.jpg)
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ભૂતકાળમાં ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા બનાવાયેલ 5 મંત્રીઓની કમિટી સાથે વર્ષ 2022માં તા. 16 સપ્ટેમ્બરના રોજ બેઠક યોજવામાં આવી હતી.
જેમાં મહદ્અંશે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યા હતું. જોકે, સમાધાન મુજબના મુખ્ય 3 પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરમસદ ખાતેની સંકલન સભામાં ઘડી કાઢવામાં આવેલ નિયત કાર્યક્રમ મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલના નેજા હેઠળ ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શિક્ષકોએ એકત્રિત થઈ થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે નમ્ર પ્રયાસ કર્યો હતો.