વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનનાં જન્મદિવસના ખાસ અવસર પર સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી
બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર, તેમને સમગ્ર દેશમાંથી અભિનંદન મળી રહ્યા છે. ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી, દરેક લોકો અમિતાભ બચ્ચનને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ આપીને તેમના જન્મદિવસને ખાસ બનાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તેમના 80મા જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બિગ બીને તેમના સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવી છે.
અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, 'અમિતાભ બચ્ચનજીને 80માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ભારતના શ્રેષ્ઠ અને અદ્ભુત ફિલ્મી હસ્તીઓમાંના એક છે, જેમણે પેઢીઓથી દર્શકોનું મનોરંજન કર્યું છે અને હંમેશા તેમનું ધ્યાન ખેંચ્યું છે. ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે.'
સાત હિન્દુસ્તાની ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ દાયકાથી પોતાના દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તે સતત ફિલ્મોમાં સક્રિય રહે છે. હાલમાં જ બિગ બીની બે મોટી ફિલ્મો 'બ્રહ્માસ્ત્ર' અને 'ગુડબાય' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો છે. અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં તેમની અમર-અકબર-એન્થની અને દીવાર જેવી પ્રતિષ્ઠિત ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં શબાના આઝમીથી લઈને અનન્યા પાંડે સહિતના મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. તો ખુદ અમિતાભ બચ્ચન પણ તેમના જન્મદિવસના અવસર પર ચાહકોને મળ્યા હતા.