નેલ પોલીશ લગાવેલા નખ હાથની શોભા વધારે છે. પરંતુ બધા માટે નખને લાંબા કરીને તેની ઉપર નેલ પોલીશ લગાવવાનું સજાવવાનું શક્ય નથી હોતું. આનું કારણ એ હોય છે કે તેમના નખ ક્યારેય એટલા વધતાં જ નથી કે તેને શણગારી શકાય.
નખ તો બધાના વધતા જ હોય. પણ મોટાભાગની માનુનીઓને નખની સારસંભાળ લેવાની ગતાગમ નથી હોતી. જો નાની નાની કાળજી કરવામાં આવે તોય નખને આકર્ષક બનાવવાનું અશક્ય નથી.ઘણાં લોકોને વારંવાર હાથ ધોવાની ટેવ હોય છે.
આને કારણે નખ બરડ બની જાય છે. સૌથી પહેલાં તો વારંવાર હાથ ધોવાની ટેવ છોડી દો. જો તે શક્ય ન હોય તો હાથ લૂછીને કોરા કર્યા પછી તેના પર મોઇશ્ચરાઇઝર અથવા હેન્ડ ક્રીમ લગાવી દો.ટેન્શનનો સામનો કરી રહેલી વ્યક્તિને નખ ચાવવાની ટેવ હોય છે એવું ઘણીવાર જોવા મળે છે.
આ લોકો નખને એટલે ઉંડે સુધી કોરી ખાય છે કે વેઢાં ઉપસી આવે અને ક્યારેક તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આને કારણે ચેપ લાગવાનો ભય પણ રહે છે. રોજ રાત્રે સુવા જવાથી પહેલા તમારા હાથ અને નખને મોઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલો.
જો મોઇશ્ચરાઇઝર ન લગાવવું હોય તો હુંફાળા પાણીમાં તેલનાં થોડાં ટીપાં નાખી હાથ તેમાં થોડીવાર માટે ડૂબાડી રાખો.મોટાભાગની માનુનીઓ વાસણ ધોતી વખતે હેન્ડ ગ્લવ્ઝ નથી પહેરતી. વાસણ ધોવા માટે વાપરવામાં આવતાં સાબુ અથવા પ્રવાહી સાબુમાં રહેલાં રસાયણો નખને ભારે હાનિ પહોંચાડે છે.
વળી વાસણ સાથે ઘસાતાં નખ વધુ નુકસાન પામે છે. બહેતર છે કે આ કામ કરતી વખતે હાથમોજાં પહેરી લો.નિયમિત રીતે નેલ પોલીશ લગાવી રાખવાથી નખ સુંદર લાગે છે અને સુરક્ષિત પણ રહે છે.
પરંતુ નખ પર કાયમ નેલ પોલીશ લગાવી રાખવાની નખ પીળાં પડી જાય છે. તેથી અવારનવાર નખ નેલ પોલીશ લગાવ્યા વિના રાખવા હિતાવહ છે. જો તમારાં નખ નેલ પોલીશને કારણે પીળાં પડી ગયાં હોય તો હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને તેમાં હાથ ડૂબાડી રાખો.