વડોદરા શહેરમાં ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ઢળી પડેલા 2 યુવકોનું પ્રાણ પંખેરુ ઉડી જતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી
શહેરમાં કેટલાય સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે બુધવારે શહેરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીમાં ગભરામણ, ચક્કર, હિટસ્ટ્રોક, ડિહાઇટ્રેશન સહિતથી ચોવિસ કલાકમાં શહેરમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. બંનેને સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મુળ રાજસ્થાન બાંસવાડા રહેવાસી અને હાલ વાઘોડિયા રોડ હિરાબાનગર ખાતે રહેતા 30 વર્ષીય મનીષ માનસીંગભાઈ ડામોરને મંગળવારે સાજે સાત વાગ્યે વાઘોડિયા રોડ ગણેશનગર ખાતે ઝાડ નીચે ચક્કર આવી જતા બેભાન થઈ ગયા હતા. 108માં સયાજી હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તો બીજી બાજુ માંજલપુર અલવાનાકા કમલેશ્વરનગરમાં રહેતા રવિભાઈ મંગળવારે સાંજે ઘરે હતા ત્યારે અચાનક તબીયત લથડી બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પટિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કર્યા હતા. આ મામલે માંજલપુર પોલીસ દ્વારા મૃતદેહની પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ગરમીને કારણે હિટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો છે. જેમાં ગરમીને કારણે દાખલ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.