આજથી દીવના તમામ બીચ 3 મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. આજથી 31 ઓગસ્ટ સુધી નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરવાના આદેશ અપાયા છે.

ગુજરાતીઓ પહેલાંથી જ હરવા ફરવાના અને મોજ મસ્તીના શોખી હોય છે. ત્યારે રજાની મજા માણવા અને મોજ કરવા માટે સમુદ્રી તટ પર આવેલું દીવ ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ સ્થળ પોર્ટુગીઝ શાસનના સમયમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, દીવ જવા માંગતા ગુજરાતીઓએ હજુ લાંબો સમય રાહ જોવી પડશે. કારણકે, આજથી દીવના તમામ બીચ 3 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. આજથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો આદેશ કરાયો છે. નાગવા, બ્લુ ફ્લેગ, ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરાયા. ત્રણ મહિના સુધી વોટર સ્પોર્ટ્સ પર પ્રતિબંધ રહેશે. નહાવા, તરવા જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે. દરિયાકાંઠે પર્યટકો માત્ર હરી ફરી જ શકશે. દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.