ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઘઉં પાકના 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઘઉં પાકનું ચાલુ વર્ષે 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વિતરિત બિયારણની ગુણવત્તા અંગે એકંદરે સંતોષકારક પ્રતિભાવ મળ્યા છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ખેડૂતો દ્વારા ઘઉં પાકના બિયારણ અંગે કરાયેલી રજૂઆતનો પ્રતિભાવ આપતાં ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, કોડીનારના ખેડૂતોની રજૂઆત સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે વધુ અહેવાલ મળતા આગળની કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘઉં પાકની ટુકડી જાતોની સમયસરની વાવણી 15થી 25 નવેમ્બર દરમિયાન કરવાની ભલામણ છે. વહેલી વાવણીના કિસ્સામાં દિવસ અને રાત્રીના તાપમાનમાં મોટો તફાવત હોવાથી બીજ ઉગાવા પર તેની ભારે અસર પડે છે. કોડીનાર તાલુકાના ખેડૂતોને જે પ્લોટ નંબરનું બિયારણ વિતરિત કરવામાં આવ્યું હતું, તે જ બિયારણનું અન્ય વિસ્તારમાં ઉગાવો સંતોષકારક અને ધારાધોરણ મુજબનો જોવા મળ્યો છે.