/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19095416/11-1.jpg)
મોરવા હડફ વિધાનસભા બેઠકની જાહેર કરાયેલી પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા સેવાસદન, ગોધરાના સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિષદને સંબોધતા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ચૂંટણી પ્રક્રિયાની મહત્વની તારીખો, આદર્શ આચાર સંહિતાના અમલ, મોરવા હડફ મતક્ષેત્રના મતદાન મથકો, કુલ મતદારો, મતદાન મથકની સુવિધાઓ, કોવિડ-19ની ગાઈડ લાઈન અનુસાર કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. મતદારો વિશેની માહિતી આપતા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે ૧૨૫ - મોરવા હડફ (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૧૮,૭૯૩ મતદારો છે. જે પૈકી ૧,૧૧,૦૮૨ પુરૂષ મતદારો તથા ૧,૦૭,૭૧૧ સ્ત્રી મતદારો છે તેમજ દિવ્યાંગ મતદારોની સંખ્યા ૭૭૮ છે. આ વિધાનસભા મત વિભાગમાં કુલ મતદાન મથકોની સંખ્યા ૨૫૪ છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા અમલી બની છે અને ચૂંટણી લક્ષી કોઈ પણ માહિતી કે ફરિયાદ બાબતે ૨૪ કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેનો હેલ્પલાઈન નંબર ૧૯૫૦ છે.
આ ઉપરાંત તેમણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંબંધી ફરિયાદો માટે વિકસાવાયેલ સી-વિજિલ મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ એપ દ્વારા નાગરિકો આચાર સંહિતાનો ભંગ થતો હોય તો તેના ફોટો કે વિડીયો અપલોડ કરીને તેની ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ મળ્યેથી એમસીસી/ખર્ચની ટીમને આ કેસ સોંપી ફરિયાદ પર યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત, એક મહત્વના પગલાની જાહેરાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના જોખમના લીધે આ ચૂંટણીમાં ગાઈડલાઈનને અનુસરતા દિવ્યાંગ મતદારો, કોવિડ-19ના શંકાસ્પદ અને સંક્રમિત લોકો તથા ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે. માસ્ક, ગ્લોવ્ઝ અને સોશિયલ ડિસન્ટન્સિંગની પૂરતી સુવિધાઓ દરેક બૂથ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત લોકસભા ચૂંટણી- ૨૦૧૯ અને વિધાનસભા ચૂંટણી- ૨૦૧૭ માં ૬૦ ટકાથી ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મતદાન જાગૃતિ વિષયક સ્વીપ પ્રવૃતિઓની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે તેમ પણ કલેકટર અમિત અરોરાએ ઉમેર્યુ હતું. તેમજ જિલ્લા સમાહર્તા અમિત અરોરાએ પત્રકાર પરિષદમાં કોરોના કાળમાં સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડવાની ફરજ સંક્રમણના જોખમ વચ્ચે પણ શ્રેષ્ઠ રીતે બજાવવા બદલ જિલ્લાના પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. ગત વર્ષે અવસાન પામનાર ત્રણ પત્રકારો અનિલ સોની, અજય પંચાલ અને સુરેશ સોનીને સ્મરતા સદગતના માનમાં પરિષદ બાદ ૨ મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું.