શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની મનપસંદ “બિલ્વપૂજા સેવા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર રૂ. 25માં નામ નોંધાવનાર ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ તેમજ નમન ભસ્મ અર્પણ કરવામાં આવશે.
શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણરૂપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. QR તથા ટ્રસ્ટની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘરે બેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે, ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર બિલ્વપૂજા સેવાનો પ્રારંભ કરી રહ્યુ છે.
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ માસ 2023, અને મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ “બિલ્વપૂજા સેવા” શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણેય ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી, અને પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
રજીસ્ટ્રેશન માટે અહિયાં ક્લિક કરો :- https://somnath.org/BilvaPooja