નેશનલ હાઇવે બંને તરફથી કરાયો બંધ, ફાયર બ્રિગેડ બચાવ કામગીરીમાં લાગ્યું
કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી,જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.
કચ્છના ભચાઉ-ગાંધીધામ કોરીડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી.
ગોડાઉનથી માત્ર 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.ઘટના અંગેની જાણ કંડલા,ગાંધીધામ અને ભચાઉના ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી માટે દોડી આવી હતી,અને કુલ 6 ફાયર મશીનો સાથે 15 થી 16 જેટલા પાણીના ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઇવે પર બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.