શિવરાત્રી પહેલા જ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી જૂનાગઢમાં ભારે રોષ, વેપારીઓએ કહ્યું માલ-સામાનનો સ્ટોક કર્યો છે એનું શું
શિવરાત્રિને હવે ગણતરીના દિવસોની જ વાર છે. પરંતુ જૂનાગઢમાં શિવરાત્રી જેવો માહોલ નથી જોવા મળી રહ્યો. જૂનાગઢમાં ભવનાથ વિસ્તાર સૂમસામ જોવા મળી રહ્યો છે અને આ બધું પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિર્ણયને લઈને છે !. શિવરાત્રિ નજીક હોય ત્યારે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં જગમગાટ અને માહોલ જ કાંઈક અલગ હોય. પરંતુ હાલ માહોલ કાંઈક અલગ છે.. શિવરાત્રિને ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે ભવનાથ તળેટી અને વિસ્તાર સૂમસામ છે. દુકાનોના સટરો બંધ છે. તો રસ્તાઓ પર પણ કોઈક કોઈક લોકો જોવા મળી રહ્યા છે. આ સંન્નાટા પાછળનું એક જ કારણ છે.
આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઇ તંત્ર અને વેપારીઓ આમને સામને આવી ગયા છે. તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે. જેને પગલે આજે વેપારીઓ દ્વારા તમામ વેપાર-ધંધા બંધ કરી દેવાયા છે. સાથે જ તમામ તંત્રના નિર્ણયનો વિરોધ કરવામાં રોડ પર બેસી ગયા છે.. ત્યારે વીટીવી ન્યૂઝે આ વેપારીઓની માંગણીઓ અને લાગણીઓ સમજવાનો પ્રયાસ કર્યો.ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.. તળેટી આસપાસના ગામોમાં પણ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવામાં વેપારીઓની માંગ છે કે, હાલ દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે. તેવામાં શિવરાત્રિ દરમિયાન પ્લાસ્ટિક વગર ધંધો કરવો અશક્ય છે.