Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફર્યા.

X

ભગવાન જગન્નાથની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા 12 જુલાઈ સોમવારના રોજ નીકળશે તેની પહેલા આજે નિજમંદિરમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે મંદિર પર ધજા ચઢાવી હતી. મહત્વનું છે કે રથયાત્રા પૂર્વ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાન નગરચર્યાને નીકળશે રથયાત્રામાં આવનાર ભક્તો અને સંતો માટે પ્રસાદ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

મંદિરના પ્રખ્યાત માલપુવાના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અહીં સાધુ સંતો માટે ભંડારો પણ કરવામાં આવ્યો હતો આ વર્ષે કોરોનાના મહામારીને કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કોવિડ ગાઈડલાઇન સાથે મર્યાદિત ભક્તો અને આમંત્રિતો સાથે કરવામાં આવી હતી .આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તે બાદ મંગળા આરતી કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિના બીજા દિવસે રવિવારે 11 જુલાઇના રોજ સવારે 9 વાગે ભગવાનના સોનાવેષમાં દર્શન થશે. જ્યારે સવારે 10 વાગે ગજરાજોની પૂજા કરવામાં આવશે આમ રથયાત્રા પૂર્વે દરેક વિધિવિધાન સાથે પૂજા રચના કરવામાં આવી રહી છે અનેક રાજકીય પદાધિકારીઓ પણ જમાલપુર મંદિર પોહચી રહયા છે અને ભગવાનના દર્શન પણ કરી રહયા છે.

કોરોના ગાઇડલાઇન મુજબ સીમિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે છતાં આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

Next Story