દિવાળીમાં સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધી 5 દિવસના તહેવારો આવે છે. તિથિઓના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે લોકોને અસમંજસ હતી. જોકે, આ વર્ષે પણ દિવાળીના તહેવારો વચ્ચે એક પડતર દિવસ એટલે કે, ખાલી દિવસ આવ્યો છે. તેવામાં દરેકના મનમાં એક સવાલ તો થાય જ છે કે, આ પડતર દિવસ કેમ આવે છે..?, ત્યારે કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં જાણીએ દિવાળી પર્વમાં આવતી પડતર દિવસની ખગોળીય ઘટના...
દિવાળીના તહેવારોની વચ્ચે આ વર્ષે વધારાનો દિવસ એટલે કે, પડતર દિવસ આવ્યો છે. એટલે કે, સામાન્ય રીતે કહીએ તો, એક વર્ષ પૂર્ણ થાય અને બીજું વર્ષ શરૂ થાય તેની વચ્ચેનો વધારાનો દિવસ. જોકે, આવું થવા પાછળનું કારણ એ છે કે, ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાના આધારે બનતી તિથિથી થાય છે. હિન્દુ તહેવારો, જેમાં દિવાળી પણ સામેલ છે, તે ચંદ્ર દિવસો અથવા તિથિઓ પર આધારિત હોય છે.
તો બીજી તરફ, આપણે રોજિંદા જીવનમાં જે મહિનાઓ અને તારીખને અનુસરીએ છીએ, તે ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે, અંગ્રેજી કેલેન્ડર સૂર્યોદય આધારિત હોય છે. હવે ચંદ્ર આધારિત હિંદુ પંચાગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચે તાલમેલ સાધવા માટે પડતર દિવસનો ઉમેરો થયો છે. અંગ્રેજી કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેની શરૂઆત રોમથી કરવામાં આવી હતી, અને તેનો સંબંધ ઈસા મસીહના જન્મ સાથે છે. ઈસા મસીહના જન્મ પહેલાના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવીસન કહેવામાં આવે છે, જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર પણ લઈને આવ્યા હતા.
હિન્દુ રાષ્ટ્રમાં પરંપરાગત રીતે દિવાળી કાર્તિક અમાસની તિથી પર ઉજવવામાં આવે છે. જોકે, અમાસ ઘણી વખત રાતે મોડેથી શરૂ થાય છે, અને બીજા દિવસ સુધી ચાલે છે. જેના કારણે દિવાળી કયા દિવસે ઉજવવી તે અંગે અનિશ્ચિતતા થતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓ 30 ભાગમાં વહેચવામાં આવી છે, જ્યારે ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. જેથી દર મહિને પચાંગમાં એકાદ તિથીનો ફેરફાર થતો હોય છે. તેથી ચંદ્રની તિથી સુર્યોદય સમયે જ હોય તેને સમગ્ર દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ ચંદ્રના ફેરફારના કારણે શક્ય છે કે, દિવસ દરમિયાન તિથિ બદલાય શકે છે.
દિવાળીના તહેવારોમાં આ વર્ષે અમાસની તિથિ 2 દિવસ સુધી ચાલશે. જે એક વિચિત્ર પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં લોકો પહેલી અમાસના દર્શનના આધારે તહેવારોની ઉજવણી કરે છે, જ્યારે અન્ય સ્થળોએ બીજી અમાસના દિવસે દીપોત્સવની ઉજવણી થાય છે. જોકે, અનેક વખત એવું બને છે કે, ધાર્મિક જ્યોતિષીઓ અલગ અલગ વિસ્તારોમાં અલગ તારીખ અને મૂર્હત જાહેર કરે છે. જેના કારણે તારીખમાં વૈવિધ્ય અને તફાવત આવે છે. ચંદ્રની ગતિ અને તિથિની શરૂઆત અલગ રીતે ગણવામાં આવતા કેટલાક કેલેન્ડર દિવાળી એક દિવસ બતાવે છે.
દિવાળીના તહેવારોમાં પડતર દિવસ અંગે શાસ્ત્રવિદોનું માનવું છે કે, પડતર દિવસ બાદ નવા વર્ષની શરૂઆત સવારે દેવ દર્શનથી જ થવી જોઇએ, એવી માન્યતાના કારણે તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ 2 વર્ષની વચ્ચે 2માંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.