/connect-gujarat/media/post_banners/a66cdd8cc2cac4764152762740f4a2d2886b5211dd6a99b60959954480707af2.jpg)
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિસ્તારોમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો PGVCL કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન યોજી PGVCLના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.
અમરેલીના ખેતીવાડી વિસ્તારમાં દિવસે પણ વીજ પુરવઠો આપવામાં આવે તે માટે ખેડૂતો બગસરા PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન યોજી PGVCLના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાત્રિ દરમ્યાન વન્ય પ્રાણીઓનો ભય અને કડકડતી ઠંડીના કારણે ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, હાલમાં શિયાળુ-રવિ પાકનું વાવેતર થઈ ગયું છે, ત્યારે દરરોજ દિવસ દરમ્યાન વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખેડૂતોનો પ્રસ્તાવ છે. ખેડૂતો બગસરા PGVCL કચેરીએ પહોંચતા અમરેલી કાર્યપાલક ઇજનેર પણ દોડી આવ્યા હતા, જ્યાં ખેડૂતોને દિવસે પણ વીજ પુરવઠો મળશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.