Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલા APMCમાં ખેડૂતો-વેપારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાય, જાહેર હરાજીનો થયો શુભારંભ...

જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMCમાં ખેડૂતો, વેપારીઓ વચ્ચે સર્જાયેલી મડાગાંઠ ઉકેલાઈ જતાં છેલ્લા ચારેક દિવસની ચાલતી હડતાળનો અંત આવતા જાહેર હરાજીનો ફરી શુભારંભ થયો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMC સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટીસ આપવા બદલ વેપારીઓએ વીજળીક હડતાળ પાડી હતી, જેનો ગઈકાલે સુખદ અંત આવતા આજથી ફરી સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું થઈ ગયું હતું. યાર્ડમાં કપાસ મગફળી સહિતની ખેત પેદાશોથી યાર્ડ ઉભરાઈ ગયું હતું. છેલ્લા 3-4 દિવસથી ખેડૂતોના ખેતી પાકોની હરાજી થઈ જતાં બહાર ગામડાઓમાંથી આવેલા ખેડૂતોના માલના પૈસા છૂટા થયાનો હાશકારો ખેડૂતો અનુભવી રહ્યા હતા.

જોકે, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને હાલ મગફળીનો ભાવ રૂ. 1200થી લઈને 1400 સુધીના ભાવો મળતા ખેડૂતોને હાશકારો થયો છે, ત્યારે છેક ગીર સોમનાથ જિલ્લામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો જોવા મળ્યો હતો. તો બીજી તરફ, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 3-4 દિવસે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ શરૂ થયું છે, જ્યાં 2200થી 2500 મણ મગફળીની આવકમાં રૂ. 1200થી 1400 સુધીના ભાવો ખેડૂતોને મળ્યા છે, જ્યારે કપાસની 1 હજારથી 1500 મણ આવક થઈ હતી, જેમાં રૂ. 1 હજારથી લઈને 1,450 સુધીના કપાસના ભાવ ખેડૂતોને મળ્યા છે. પરંતુ મગફળી સામે કપાસના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

Next Story