અમરેલી : અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમે રેસ્ક્યુ કરી 21 લોકોને બચાવ્યા
અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે NDRFની ટીમે એક જ રાતમાં બે રેસ્ક્યુ ઓપરેશન કરીને કુલ 21 વ્યક્તિઓનો બચાવ કર્યો હતો.
અમરેલી જિલ્લામાં જાણે જળપ્રલય થયો હોય તેમ જિલ્લાના અનેક તાલુકા મથકો પર 5 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો. ત્યારે અનેક અવિરત વરસાદને વચ્ચે જિલ્લાના અનેક ગામડાઓમાં નદીઓ વહેવા લાગી હતી જેના કરણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ત્યારે આગાહીના પગલે તૈનાત NDRF ટીમે એક જ રાતમાં બે રેસ્ક્યુ ઓપરેશન કરીને કુલ 21 વ્યક્તિઓને આબાદ રીતે બચાવી લીધા હતા. અમરેલીના બાબાપુર નજીક રાત્રીના 19 મુસાફરો ભરેલી ખાનગી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા NDRF ની ટીમ બાબાપુર પહોંચી હતી અને દોરડા વડે બસમાં ફસાયેલ 19 મુસાફરોને આબાદ રીતે બચાવી લેવાયા હતા.
જ્યારે બીજી તરફ લીલીયા પંથકમાં અનરાધાર વરસાદથી ભોરિંગડા ગામ નજીક બે વ્યક્તિઓ પુરના પાણીમાં ફસાઈ જતાં ધારાસભ્ય પ્રતાપ દુઘાતએ જિલ્લા તંત્રને જાણ કરતા NDRFની ટિમ પહોંચી ગઈ હતી અને સતત બે કલાકની જહેમત બાદ બન્ને ફસાયેલા યુવકોને બહાર લાવવામાં આવ્યા હતા. આમ આખી રાત NDRFની ટીમે 21 લોકોના જીવ બચાવ્યા હતા.