અમરેલી : સાવરકુંડલા-લીલીયા સહિતના ગામમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું...
અમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા સહિતના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશની આન બાન અને શાન સાથે અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓએ ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. જેમાં સ્વભિમાન સાથે હાથમાં તિરંગો લઈને અમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. “ભારત માતા કી જય”, “વંદે માતરમ્”ના નારા તેમજ ડીજેમાં દેશભક્તિના ગીતો સાથે અમરેલી, સાવરકુંડલા, લીલિયા સહિત નાના નાના ગામડાઓમાં દેશભક્તિની જાંખી કરાવતી તિરંગા યાત્રા નીકળી હતી. વીર શહીદો અને ભારત દેશના જવાનોની રાષ્ટ્ર ભાવનાઓને વધુ મજબૂત કરવાના ધ્યેય સાથે નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા નીકળતા અમરેલીમાં રાષ્ટ્ર સમર્પિત ભાવનાઓ જોવા મળી હતી.