/connect-gujarat/media/post_banners/cbb6ea21b28ec4ceb6a567626fa777ed2e68c383c6ee1d7082793a4e9356e242.jpg)
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે, તો બીજી તરફ, સોયાબિનના પાકમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.
અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો, જેથી ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક મકાઈ, કપાસ, સોયાબીન, મગફળી અને દિવેલાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ ખૂબ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને રાસાયણિક દવાઓ પણ નાખી હતી. સરસ માવજત કરવાથી પાક સોળ આની તૈયાર થઈ રહ્યો છે, ત્યારે હવે આ બધા પાકમાં પાણીની તાતી જરૂરીયાત વર્તાય રહી છે. જોકે, છેલ્લા 20 દિવસથી વરસાદ પાછો ખેંચાતા પાક સુકાવાની તૈયારીમાં છે. ઈયળો સહિતની જીવાતોનો ઉપદ્રવ વધતાં ખેડૂત ચિંતિત છે. પણ શું કરે કુદરત આગળ ખેડૂત લાચાર બનીને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કઠોળ સહિત કુલ 1.92 લાખ હેક્ટર જેટલું બમ્પર વાવેતર ખેડૂતોએ કર્યું છે, ત્યારે જો હવે 2 દિવસમાં વરસાદ ન આવે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેમ છે.