-
જમ્મુ કાશ્મીરમાં કુદરતી કહેરનો મામલો
-
ભૂસ્ખલન થતા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
-
પાલનપુર અને ગાંધીનગરના 50 યાત્રીઓ ફસાયા
-
ફસાયેલા યાત્રીઓએ આર્મી કેમ્પમાં લીધો આસરો
-
તમામ યાત્રીઓ હેમખેમ અને સુરક્ષિત
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છે, ત્યારે ગુજરાતના 50 યાત્રીઓ પણ રામબનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે,અને તમામ હેમખેમ હોવાનું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા હવામાને સૌની ચિંતામાં વધારો કર્યો છે,આભ ફાટવાની ઘટનાએ સર્જેલી તારાજી બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવતા પ્રવાસીઓમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે,જ્યારે ગુજરાતના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા યાત્રીઓ પણ ખરાબ હવામાનને કારણે રામબનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે,જેને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત છે.ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ફસયેલા ગુજરાતી પ્રવાસીઓને પરત હેમખેમ ગુજરાત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર સતત જમ્મુ કાશ્મીરના રામબન તંત્રના સંપર્કમાં છે.તેમજ હાલમાં તમામને આર્મી કેમ્પમાં આસરો આપવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.