Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કબીરવડમાં ન્હાવા પડેલાં ચાર યુવાનો નર્મદા નદીમાં ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં

કબીરવડ ખાતે શનિ જયંતિએ બનેલી કરૂણાંતિકા, યુવાનોની ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં

X

ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે ગુરૂવારના રોજ નર્મદા નદીમાં ન્હાવા પડેલાં ચાર યુવાનો ડુબ્યાં હતાં. જેમાંથી ગામલોકોએ નદીમાંથી બે યુવાનોને બહાર કાઢયાં હતાં પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. જયારે બે યુવાનો લાપત્તા હોવાથી તેમની શોધખોળ શરૂ કરાય છે.

છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં નર્મદા નદી સુકીભઠ બની હતી જેના કારણે કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓ ઘટી ગયાં હતાં. પણ છેલ્લા બે વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળરાશિ વધી છે અને નદીના પાણી પણ શુધ્ધ બની ગયાં છે. કબીરવડ ખાતે નર્મદા નદીના પાણી છીછરા હોવાથી સહેલાણીઓ નદીમાં ન્હાવાનો આનંદ મેળવવા આવતાં હોય છે. ગુરૂવારના ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મસ્જિદ પાસે રહેતા અને નજીકમાં હોટલ સાઈટમાં ફર્નિચરનું કામ કરતા યુવાનો કબીરવડ ખાતે ફરવા ગયા હતા જેમાં આઠ યુવાનો પૈકી ચાર યુવાનો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતાં. જેમાં પાણીની ઉંડાઇના ખ્યાલ ન રહેતાં ચારેય નદીમાં ડુબવા લાગ્યાં હતાં. ગામલોકોએ ચારેય યુવાનોને ડુબતા જોતા નદીમાં ઝંપલાવ્યું હતું. ગામલોકો બે યુવાનોને ખેંચીને કિનારા પર લાવ્યાં હતાં પણ બંને યુવાનોનો જીવ બચાવી શકાયો ન હતો. અન્ય બે યુવાનો નદીમાં લાપત્તા બન્યાં છે. બનાવની જાણ થતાં ભરૂચથી નગરપાલિકાના લાશ્કરો કબીરવડ ખાતે રવાના થયાં હતાં.

નર્મદા નદીમાં ડૂબી ગયેલા દેવારામ તથા ગણેશારામના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે અન્ય લાપતા બસ્તીરામ તથા નેમારામની શોધખોળ આરંભી હતી પરંતુ મોડે સુધી પણ તેમના મૃતદેહની શોધખોળ કરતાં કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. નર્મદા નદીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવતા જ મૃતકોના પરિવારોનું હૈયાફાટ રૂદનથી પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. જોકે, નર્મદા નદીમાં યુવાનો ડૂબી જતાં અન્ય પ્રવાસીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો.

Next Story