ભરૂચ શહેરમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં તા. 7મી જુલાઈ-રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે.
જેના ભાગરૂપે ભરૂચ શહેર એ’ અને બી’ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી ફુરજા, રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ જોડાય શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.