/connect-gujarat/media/media_files/2025/04/19/Oc1T6yZjAiqXc8t42J1e.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
રોડ મુદ્દે સ્થાનિકો સાથેના સમાધાન બાદ નોટીફાઈડ દ્વારા ટૂંક સમયમાં માર્ગનું કામ શરુ કરાશે. તો બીજી તરફ, જિલ્લા નિવાસી કલેકટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ તરફ, GIDC વિસ્તારમાં આવવા-જવા માટે હવે જી.એમ.દેસાઈ ચોકડીથી તેમજ વાલિયા ચોકડી થઇ વાહન લઇ જઈ શકાશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં GIDC વિસ્તારને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયની વિવાદમાં હતો. નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રોડ બનાવવામાં માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી. જેને લઇ એક તરફનો રોડ બન્યો હતો, જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો. જેને લઇ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. તેમજ રોડ ન બનતા ઉડતી ધૂળ લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટીફાઈડ વિભાગએ વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે. જેને લઇ નોટીફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી. જે અંગે અંતે જિલ્લા નિવાસી કલેકટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ, GIDC વિસ્તારમાં આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર GIDC તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવર બ્રિજ થઇ દેસાઈ પેટ્રોલ પંપ થી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે. તો અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઇ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. આ તરફ, સુરતથી અંકલેશ્વર GIDC વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઇ GIDC વિસ્તાર તરફના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.