/connect-gujarat/media/media_files/2025/02/14/ufWBuc8k3WN4HzB5IchM.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબ-એ-બારાત પર્વ નિમિત્તે શહેર અને તાલુકાની વિવિધ મસ્જિદોમાં ખુદાની ઈબાદત કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત એટલે શબ-એ-બારાત. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે, તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાઝ અદા કરી અલ્લાહની ઈબાદત કરે છે. આ સાથે જ રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની કબર પાસે તેમની રૂહ માટે દુઆ કરે છે.
ઉપરાંત આ રાત્રે જીવનના પાછલા વર્ષના હિસાબ કિતાબનો દાયરો બંધ થાય છે, અને નવો દાયરો શરૂ થાય છે. આ પ્રસંગે હજરત મુહમ્મદ પયગંબર સાહેબે બતાવેલા પથ પર જીવન વ્યથિત કરવા હાજર જનોને ખાસ અનુરોધ કર્યો હતો.
બયાન બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. જેમાં દેશ અને દુનિયામાં અમન, ચેન, સુકુન તથા સમૃદ્ધિ કાયમ રહે તે માટે પણ દુઆ ગુજારી હતી. શબ-એ-બારાત નિમિત્તે અંકલેશ્વર શહેરની હજરત હલીમશાહ દાતાર મસ્જિદ, જુમ્મા મસ્જિદ, ગૌસિયા મસ્જિદ, કાગદીવાડ મસ્જિદ, કસ્બાતિવાડની ચોર્યાસી મસ્જિદ, સર્વોદય મસ્જિદ, મદીના મસ્જિદ (શક્તિનગર), ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદ-હવા મહેલ, સ્ટેશન મસ્જિદ, ભાટવાડ મસ્જિદ, મુલ્લાવાડ મસ્જિદ, સેલારવાડ મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં નવાફિલ નમાઝો પણ અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખુદાની ઈબાદત માટે ઉમટ્યા હતા.