ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકાઓમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફાળવવામાં આવેલ ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોનું શાળાના શિક્ષકોને વિતરણ કરવા આવ્યું હતું. શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વિતરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સરકારી, ગ્રાન્ટેડ, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાંસોટ, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વર પરમારની અધ્યક્ષતા હેઠળ વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો ને ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને શૈક્ષણીક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવનાર છે.