New Update
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉન આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. એક ગોડાઉનમાં લાગેલ આગ
એક પછી એક 8 ગોડાઉનમાં આગ પ્રસરી હતી.ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ થતા ની સાથે જ સ્થાનિક આગેવાનો પણ દોડીઆવ્યા હતા આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું છે.ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે જેને આવનારા સમયમાં નોટિસ આપવામાં આવશે.તો બીજી તરફ અગન જ્વાળા અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદ ઉઠી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલા મોટા ભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે. સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.