-
અષાઢી બીજનો પાવન અવસર
-
ભગવાનની નગરચર્યામાં ભક્તો બન્યા ભાવુક
-
જય રણછોડ માખણ ચોરનો ગુંજ્યો જયઘોષ
-
જગતના નાથ સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા
-
પોલીસના લોખંડી સુરક્ષા કવચ સાથે રથયાત્રાનું આયોજન
અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.
અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના નાથ જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજીત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડ, જલારામ મંદિર, ભરૂચીનાકા થઇને ચૌટા નાકા, ચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારે દર્શન આપતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.