આકર્ષક લોનના બહાને ભેજાબાજોનું મોટું કારસ્તાન
રોયલ મની ફાઇનાન્સના સંચાલકોએ કરી છેતરપિંડી
ભેજાબાજોએ અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી
લોનધારકોએ રૂ. 40 હજાર સુધીની લોન લીધી હતી
હપ્તા ભર્યા બાદ બેંકની નોટિસથી કૌભાંડ સામે આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ખાનગી ફાઇનાન્સ એજન્સીએ મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોને લોન આપવાની લાલચ અને છેતરપિંડીના આક્ષેપ સાથે ભોગ બનનાર અનેક લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં રોયલ મની & ફાઇનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે છેતરપિંડીનું ચક્રવ્યું રચ્યું હતું, અને તેઓ પાસે તેમના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી તેઓને 40 હજાર સુધીની લોન આપી હતી. જેના 4થી 5 હપ્તાઓ પણ લોન લેનાર લોકોએ જમા કરાવ્યા હતા.
જોકે, સુરતના કિમની IDFC બેંક તરફથી આ ફાઇનાન્સ એજન્સી પાસેથી લોન લેનારા લોકોના નામે નોટિસ આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, "તેમના નામે બેંકમાંથી એકથી દોઢ લાખ સુધીની લોન લેવાય છે, અને તે એક સપ્તાહમાં ચૂકવી દેવી પડશે. બેંકની નોટિસ મળતા જ લોન લેનાર ગ્રાહકો માથે આભ તૂટી પડ્યું હોય તે સમાન ઘટના બની હતી.
રોયલ મની ફાઇનાન્સના સંચાલકોએ કરી છેતરપિંડી
ત્યારબાદ લોનધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે, રોયલ મની & ફાઈનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ પર બેંકમાંથી વધુ લોન લઇ બેંકમાં હપ્તા સુધ્ધા ભર્યા નહોતા, ત્યારે આ મામલે છેતરપિંડીના આક્ષેપ સાથે ભોગ બનનાર લોન ધારકો અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા.
જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, હાલ તો 10થી વધુ લોકોએ અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે ફાઇનાન્સ પેઢીના સંચાલકોની હકીકત બહાર લાવવાની તપાસ અર્થે ચક્રો ગતિમાન કર્યા છે.