/connect-gujarat/media/media_files/2025/02/13/OXiVGeoXhsenkwvv5EOW.jpg)
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચ શહેરના કોલેજ રોડ પર ABVP સંગઠન દ્વારા શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી કરવા સાથે રસ્તા રોકો આંદોલન તથા સદ્દબુદ્ધિ હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કૉલેજમાં સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે.
સંસ્થાઓ દ્વારા હવે સ્કૉલરશિપ બંધ થઈ જતાં ફ્રી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. તેવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં તંત્રના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યા છે. બોહળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી, રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી ABVP સ્પષ્ટ માંગ કરે છે કે, શિષ્યવૃતિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ/ગવર્નમેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે.
રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. ગત વર્ષે પણ ABVP દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઈ રહ્યો છે.
વિદ્યાર્થી હિતમાં ABVP રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કે, સરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી ABVP દ્વારા માંગ કરવામાં આવી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી સમર્થ ભટ્ટએ જણાવ્યુ હતું કે, "ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ હેતુ રસ્તા પર ઉતાર્યા છે, ત્યારે આ માત્ર એક શરૂઆત છે. ABVPની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.