ભરૂચ તાલુકાના ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે 15મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આગેવાન દિનેશ માછી તેમજ અન્ય ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ઝનોર ગામના વિકાસના કામો 15મા નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મશાળા-ઝનોર મુકામે બોરવેલના કામ માટે રૂપીયા 3,00,000/- સુધીના ખર્ચ અંગેના બીલ મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ વેલ્યુએશન સર્ટીફિકેટ એસ્ટીમેન્ટ, આર.ઓ. શીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સબ મર્સીબલ પંપ 10 HPની જગ્યાએ સીંગલ ફેઝની મોટર અંદાજીત 1 HPની ફિટ કરાવીને મંજુર થયા મુજબનું મટીરીયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બીલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપત કરેલ છે, તેમજ ઇન્દરા આવાસથી સરદાર આવાસને જોડતો RCC રોડ મંજુર કરવામાં આવ્યો હતો. જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજુર થયા મુજબનું કામ નહીં કરી હલકી ગુણવત્તાવાળુ કામ કરવામાં આવ્યું હોવાનો થયો છે.
ઝનોર મુકામે નદી કિનારે જુની પંચાયત નીચે RCC નાળાનું કામ મંજુર કરવામાં આવેલ. જે કામ બાબતે એસ્ટીમેન્ટ મુજબ 2939.63 કિલો સ્ટીલ મંજુર થયેલ હતું. જે નહીં વાપરીને હલકી ગુણવત્તાવાળુ કામ કરેલ છે. આ કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય જે બાબતે આગેવાન દિનેશ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદરહુ કામોમાં ગેરરીતિ થયેલ છે. જે બાબતે જવાબદાર સરપંચ તથા ઉપસરપંચ ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત, જીલ્લા પંચાયત ભરૂચને રીપોર્ટ કરવામાં આવેલ છે, તેમ છતાં જીલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેથી સરપંચ તથા ઉપ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે.