પવિત્ર શ્રાવણ માસના આગમનની તૈયારી
કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે તૈયારીઓ શરૂ
સમુદ્ર સ્વયં કરે છે દેવાધિદેવને જળાભિષેક
ખુબ મોટી સંખ્યામાં ભક્તો કરે છે શિવજીના દર્શન
શ્રાવણમાં ઉમટી પડશે ભક્તોનો સેલાબ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે ભક્તો માટે આસ્થા સ્થાનક સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે.સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે આવે છે,પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોનો સેલાબ ઉમટી પડે છે.
આગામી તારીખ 25 જુલાઈ 2025ને શુક્રવારના રોજ થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે, મહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધી, વ્યાધી અને ઉપાધિ માંથી મુક્ત થાય છે.તથા સઘળી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધાપૂર્વક જણાવી રહ્યા છે.