/connect-gujarat/media/media_files/2025/04/01/JEIJ8oOnGvLcZ4U5VqeU.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા 9 દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓએ આગળ આવી સમાગ મુદ્દે રજૂઆત કરી હોવા છતાં હજુ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ જ મચક નહીં આપવામાં આવતા પુનઃ આજે અગ્રણીઓએ કંપની કર્મચારીઓની મુલાકાત લઈ મંગળવાર સાંજ સુધીમાં કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. તેઓના સમર્થનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા સહિત સામાજિક આગેવાનો પક્ષીય રાજકારણ કોરાણે મુકી આગળ આવ્યા હતા, અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવતા કંપની સત્તાધીશો દ્વારા મંગળવાર સુધી 3 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો.
કંપની દ્વારા આ 3 દિવસ બાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજરોજ કાંગ્રેસ અગ્રણીઓ શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, રજની વસાવાએ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની મુલાકાત લઈ ન્યાય અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી. તેઓએ આક્ષેપ કર્યા હતા કે, કંપની સત્તાધીશોએ 3 દિવસની મુદ્દત માંગ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરી નથી.
પણ તેના બદલે કંપની બંધ કરવા સાથે કેન્ટીન બંધ કરી સિકયુરિટી તહેનાત કરી દીધા છે. જો, માંગ નહી સ્વીકારવામાં આવે તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે, અને કંપનીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં 9-9 દિવસથી ચાલતી કર્મચારીઓની હડતાળ અંગે પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ પણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે કોઈ જ સકારાત્મક કાર્યવાહી જણાય નથી રહી, ત્યારે ઔધોગિક શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રના ઉચ્ચ જવાબદાર અધિકારીઓએ સક્રિય થવાની આવશ્યકતા વર્તાઈ રહી છે.