ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ થતાં ગ્રામજનોએ સંરક્ષણ દિવાલ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર નજીક ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થઇ રહ્યું છે. જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે. આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર વર્તાય રહી છે.
મંદિરના મહંતે જણાવ્યું હતું કે, વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઇ રહ્યો છે. જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું છે. જોકે, આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે છે. આમ થતા મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. વધુમાં આ બાબતે ગ્રામજનોએ તંત્રમાં વારંવાર લેખિત રજુઆત પણ કરી છે, ત્યારે મંદિર નજીક થઇ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ચાલુ વર્ષે ચોમાસા પહેલા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે, ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઇચ્છનીય છે. નર્મદા તટે આવેલ જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદભવે છે, ત્યાં અસરકારક આયોજનો કરીને આવી જગ્યાનું ધોવાણ થતું અટકાવાય તેવી માંગ ઉઠવા પામી છે.