-
જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો
-
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
-
પ્રતિ લીટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો
-
મધ્યમ અને ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો
-
રોજબરોજની વસ્તુના ભાવ નિયંત્રણ માટેની ઉઠી માંગ
શ્વેત ક્રાંતિને ઉજાગર કરતી અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો તાત્કાલિક અસરથી વધારો કર્યા બાદ હવે મોંઘવારીનો ભરડો વધુ ઉગ્ર બન્યો છે. હાલના સમયમાં શાકભાજી, ખાદ્ય તેલ અને દાળ સહિતની નિત્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો જોવાઈ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનતાનું ઘરેલુ બજેટ તૂટતી કગાર પર પહોંચી ગયું હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં મોંઘવારીનો ગ્રાફ સતત વધી રહ્યો છે,ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં છાશવારે વધારાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર વ્યવસ્થાનું માળખું ડગમગી ગયું છે. શાકભાજી,અનાજ,કઠોળ,દાળ સહિતની ખાદ્ય પદાર્થોના ભાવ પણ હાલમાં વધુ હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ખાદ્ય તેલનાં ભાવ પણ તેજીથી વધી રહ્યા છે,ત્યારે અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો તાત્કાલિક અસરથી ઝીંકાતા ગૃહીણોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી છે.અને સરકાર પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવને નિયંત્રણમાં લાવવા માટેની માંગ કરી હતી.
ભરૂચમાં ચા વેચનાર અને રોજબરોજ દૂધનો ઉપયોગ કરતા લોકો ઉપર અમૂલ દૂધના ભાવ વધારાની સીધી અસર થઈ છે.બીજી તરફ, શાકભાજી અને તેલના ભાવ વધી જતા રોજની રસોઈ પણ મધ્યમ અને ગરીબ વર્ગ માટે મોંઘી પડી રહી છે.લોકો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે વારંવાર થતા ભાવ વધારા પર નિયંત્રણ લાવવામાં આવે.
વેપારીઓ કહે છે કે આ ભાવ વધારો હોલસેલ બજારમાંથી શરૂ થાય છે,અને રિટેલ સુધીમાં ગ્રાહકને મોટો ભાર સહન કરવો પડે છે.જનતાની માંગ છે કે સરકાર પાસે કિંમતો નિયંત્રિત કરવા માટે મશીનરી છે, છતાં નિયમિત વાટાઘાટો કે પગલા જોવા મળતા નથી.આ મોંઘવારીના માહોલ વચ્ચે રોજિંદા જીવન ચલાવવું સામાન્ય માનવી માટે મોટો પડકાર બની રહ્યો છે.