ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રીગેડ આદિવાસી સંગઠનના કાર્યકર્તાઓ સહિત પારખેત ગામના આગેવાનોએ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી પારખેત ગામની કાંસ પર કરાયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગ કરી હતી.
વીર બિરસા બ્રીગેડ આદિવાસી સંગઠન-ભરૂચના કાર્યકર્તાઓ દ્વારા કલેકટર કચેરીએ પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, હાલના સમયમાં ચોમાસાનો માહોલ છે, ત્યારે ગામના જ કેટલાક લોકો દ્વારા વર્ષોથી પાણીનો નિકાલ જે કાંસમાંથી થતો હતો, તે જગ્યા પર ખોટી રીતે પોતાના સ્વાર્થ અને સુખ સુવિધાઓ માટે દબાણો ઉભા કરી સિમેન્ટ અને ક્રોકીટ દ્વારા બાંધકામો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રસ્તાની આજુબાજુ ઉકરડાઓ ઉભા કર્યા છે, જેના કારણે પાણીનો નિકાલ થતો નથી, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી પાછું ફરતા ટંકારીયા રોડ પર આવેલા આદિવાસીઓના કાચા મકાનોમાં 2થી 3 ફૂટ પાણીનો ભરાવો થયો છે. જેના કારણે ઘણું મોટું આર્થિક નુકશાન થવા સાથે કાચા મકાનો પણ પડી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેને ધ્યાનમાં રાખી આ જગ્યા પર કરાયેલા ગેરકાયદેસરના બાંધકામ દૂર કરી તાત્કાલિક કાંસને ખુલ્લી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.