-
જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ
-
ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી
-
નદી કાંઠાના ખેતરોમાં ઊભા પાકને થયું મોટું નુકશાન
-
ખેતી નુકશાન સામે ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું
-
સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ નદી કાંઠાના ખેતરોમાં તારાજી સર્જી દેતા ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં મકાનો છતો ઉડી જવા સાથે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારે ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ઝઘડીયા તાલુકાના ભાલોદ, ઓર પટાર, ટોથિદ્રા, તરસાલી, વણકપોર, કૃષ્ણપરિ, રુંઢ, ઇન્દોર, પાણેથા, અશા, વાસણા સહિત વિસ્તારના ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પાક લેવાની તૈયારીના સમયે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા ઠળિયા મૂળમાંથી ઉખડી જમીનદોસ્ત થયા છે. જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, સરકાર દ્વારા સર્વે કરાવી સહાયરૂપી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.