ભરૂચ જિલ્લામાં પૂરનું સંકટ ઘેરાતા વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું,ગતરાત્રીથી લઈને આજરોજ બપોરના 12 કલાક સુધીમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં ઝડપી ગતિએ વધારો થયો હતો.અને નદીના પાણી ભયજનક કરતા બે ફૂટ ઉપર એટલેકે 26 ફૂટ પર વહી રહ્યા હતા.જેના કારણે પૂરનું સંકટ ઘેરાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો હતો.
સરદાર સરોવર ડેમમાં માંથી નર્મદા નદીમાં 3 લાખ 45 હજાર 615 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય હતી.અને જિલ્લાના નદી કાંઠાના ગામોને પૂર સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા સાબદા કરવામાં આવ્યા હતા.પૂરના એંધાણ વાર્તાતા ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો હતો.અને ગંભીર પરિસ્થિતિમાં
ઇમરજન્સી 101 અને 220151, 242300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી.જ્યારે રેસ્ક્યુની જરૂર પડે તો તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
તો બીજી તરફ નર્મદા નદીના તોફાની પૂરના પાણી નદી કાંઠે વસેલા અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.અને ખેતરમાં તૈયાર કારેલા,પાપડી,તુવેર,કેળ સહિતના પાકને નુક્શાનીની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત અંકલેશ્વરના સરફુદ્દીન,ખાલપીયા ગામના લોકોને પણ પૂર સંકટથી સુરક્ષિત રહેવા માટે જરૂર પડે તો સ્થળાંતર માટે તૈયાર રહેવા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.