ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલદ, ધારોલી, પડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે. ઝઘડિયા વીજ કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાથી વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. જેના પગલે ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસ, શિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઇ દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે આવ્યા હતા
અને નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં કાર્યરત થઈ છે, ત્યારથી જ ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા 10થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. ફરિયાદ કર્યા બાદ પણ તેનું કોઈ સમારકામ કરવા આવતું નથી, ત્યારે આગામી 10 દિવસમાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરકાર સુધી ઉગ્ર રજૂઆત કરવા અંગે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.