/connect-gujarat/media/media_files/2025/05/08/tVFnxMlYGIgPxwpCu24r.jpg)
ભરૂચ દહેજના બિરલા કોપર ટાઉનશિપ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી,જેમાં હવાઈ હુમલામાં બિલ્ડીંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બિરલા કોપર ટાઉનશિપ ખાતે હવાઈ હુમલો થયો હતો. જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ કંપની ટાઉનશિપ અને અન્ય આજુબાજુના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.
હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી.
ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા.જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા. જ્યારે 790 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
મોકડ્રિલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર નિકુંજ પટેલ, વાગરાના મામલતદાર મીના પટેલ, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી, મરીન પીઆઈ બી .એમ.પાટીદાર, તાલુકા આરોગ્ય અધિકારી બી. કે. સિંહ અને ટીમ, તાલુકા ટીડીઓ અઘિકારી, દહેજના આપતી વ્યવસ્થાપન કોઓર્ડીનેટર, જીઆઇડીસીના અધિકારીઓ, બિરલા કોપર ટાઉનશિપના પ્રેસિડેન્ટ કુમારવેલ, સિક્યુરિટી અધિકારી કર્નલ જેપીએસ ખૈરા તેમજ લાયઝન ઓફિસર અનુપમ સિંહ અને મહત્વના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.