ભરૂચ: લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આવ્યો નવો વળાંક,આરોપીએ જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા

દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી

New Update
  • લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડીનો મામલો

  • રૂ.54 લાખની આરોપીએ કરી હતી છેતરપિંડી

  • પોલીસ તપાસમાં ઘટનામાં આવ્યો નવો વળાંક

  • જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા કરોડો રૂપિયા

  • પોલીસે કરી જયપુરથી જ્યોતિષની ધરપકડ

 ભરૂચના દહેજમાં લેબર કોન્ટ્રાકટનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી 54 લાખ રૂપિયાની છેતરપીંડીના ગુન્હામાં નવો વળાંક આવ્યો હતો,પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું,તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ કરી હતી.

ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા ચેકનો ઉપયોગ કરીને રૂપિયા 54 લાખ ઉપાડી લીધા હતા,જે ઘટના અંગે કોન્ટ્રાકટર દ્વારા ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી,અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરૂણ ઉર્ફે તરૂણ આચાર્ય ઉર્ફે ટારઝન દુલીચંદ શર્માને આંગડિયા પેઢી તેમજ બેંક  એકાઉન્ટ મારફતે આશરે 4 કરોડ 50 લાખ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપ્યા હોવાની હકીકત જાણવા મળી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કહેવાતા જ્યોતિષ તરૂણની ધરપકડ કરી હતી.

અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરૂણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યુઝ પેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરૂણ આચાર્ય થતા મુસ્લિમ નામ મોલવી સુલ્તાન ચિસ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં થતા આંગડિયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડ્સ ઓપરેન્ડીસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.હાલ આરોપી ભરૂચ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાનો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.