ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ બાળકોને પોતાના અજગરી ભરડામાં લઈ રહ્યો છે
ત્યારે ભરૂચમાં આ જીવલેણ વાયરસનો પગપેસારો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નથી. પરંતુ તંત્ર સફાળુ જાગીને વાયરસનો પગપેસારો ભરૂચમાં થતો અટકાવે અને પાણી પહેલા પાળ બાંધે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ મકાનોનું સર્વે કરી દવાનો છંટકાવ કરે, તેમજ બીમાર બાળકોને પણ યોગ્ય સારવાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.