ગત વર્ષે ચોમાસામાં આવ્યું હતું નર્મદા નદીમાં ભારે પૂર
પૂરના કારણે શહેર-જીલ્લામાં સર્જાય હતી ભારે તારાજી
નદીમાં ફરી પૂર આવવાના સોશિયલ મીડિયામાં મેસેજ
મેસેજથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો
ખોટા મેસેજ કરી અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અપીલ
નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. કેટલાય લોકોએ કામ-ધંધે અને ખેતરોએ જવાનું મુકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ સર્જાયો હતો.
જોકે, તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા. જેથી આવા મેસેજ મુકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પુરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા. જોકે, આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને આ મેસેજ ખોટો હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી. તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો. હાલના સોશિયલ મીડિયાના જમાનામાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છે, ત્યારે બેજવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક બન્યું છે.