-
નેત્રંગ તાલુકાની આદર્શ નિવાસી શાળાનો બનાવ
-
આચાર્ય-શિક્ષકોનો આંતરિક તકરાર બન્યું કારણ
-
આચાર્ય-શિક્ષકોની બદલી થતાં માહોલ ગરમાયો
-
બદલી સામે શાળાના વિદ્યાર્થીઓએ નારાજગી દર્શાવી
-
વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતાં પોલીસ દોડતી થઈ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આદર્શ નિવાસી શાળાના આચાર્ય અને 2 શિક્ષકોની બદલી સામે વિદ્યાર્થીઓએ નારાજગી દર્શાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોષી તેમજ શિક્ષિકા ગીતા વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરીક તકરાર ચાલતી હતી. જે બાબતે આદિજાતિ વિભાગના ભરૂચ મદદનીશ કમિશનર દ્વારા અવારનવાર સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
પરંતુ આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકાર્યો હતો. તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને પંચમહાલ જિલ્લાની ઝાલોદ આદર્શ નિવાસી શાળા, સહાયક શિક્ષક હિમાંશુ જોષીને તાપી જિલ્લાની કુકરમુંડા આદર્શ નિવાસી શાળા અને ગીતા વાઘેલાને તાપી જિલ્લાની ઉકાઇ આદર્શ નિવાસી શાળા ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.
જે મામલે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતાં નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.