New Update
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં ૪૭ જેટલા વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી.
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમ્યાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઇ હતી. સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચીનાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્ય માંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઇ લેવા અંગેનો હતો.જેનો વિપક્ષના સભ્ય રફીક ઝગડીયાવાળાએ જોરદાર વિરોધ કર્યો હતો તો તેમના સૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સુર પુરાવ્યો હતો જોકે પક્ષની શિસ્તને લઇ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા નહોતા.
આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકા ની માલીકીની ભાડાપટે અપાયેલ મિલ્કતોના ભાડામાં વધારો, સુકાવલી સાઈડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજેન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.