-
ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી
-
ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન
-
જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો
-
ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ
-
સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં
-
ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે, અહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.
ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છે, ત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.
ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, તેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.