પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર
વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત
3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત
રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,
પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈ, જે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છે, તેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.
આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.