Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વીર મોખડાજીની પ્રતિમાનું અનાવરણ-પરશુરામ પાર્કનું લોકાર્પણ

રૂ. 26.48 લાખના ખર્ચે ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ, રૂ. 1.38 કરોડના ખર્ચે નિર્માણધીન ‘પરશુરામ પાર્ક’નું લોકાર્પણ.

X

ભાવનગરમાં રૂપિયા 26.48 લાખના ખર્ચે નવનિર્મિત 'વીર મોખડાજી'ની પ્રતિમાનું અનાવરણ તેમજ સુભાષનગર ખાતે રૂપિયા 1.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 'પરશુરામ પાર્ક'નું રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરી દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતે વીર મોખડાજીની પ્રતિમાનું અનાવરણ તેમજ પરશુરામ પાર્કના લોકાર્પણ પ્રસંગે હાજર રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, ઇતિહાસની મહાન પ્રતિભાઓને ઉજાગર કરવી તે ઇતિહાસને ઉજળું કરવા સહિત પવિત્ર અને પુનર્જીવિત કરવાનું કાર્ય છે. ભાવનગર ખાતે નવનિર્મિત 'પરશુરામ પાર્ક' જિમ સાથેનો પાર્ક છે, તેમ જણાવી તેમણે આ પાર્ક માટેના સાધનોની જોગવાઇ તેઓ દ્વારા કરાશે તેવી જાહેરાત પણ કરી હતી, ત્યારે લોકાર્પિત થયેલ બગીચા પોતાનો હોય તે રીતે ઉપયોગ કરી, તેમાં સ્વચ્છતા જળવાય તે માટેનો ખ્યાલ રાખવાં ઉપસ્થિત લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પાર્ક 39 હજાર ફુટમાં વિકસીત કરવામાં આવ્યો છે. તેમાં 4 ગઝેબો, પેવીંગ પાથ વે, વોકિંગ ટ્રેક, ચીલ્ડ્રન પ્લે એરિયા છે, જેથી તે રમણીય અને ફરવાલાયક સ્થળ બની રહેશે. આ ઉપરાંત ગાર્ડનમાં જીમ પણ હોવાથી ફિઝિકલ ફિટનેશ માટે પણ ઉપયોગી બની રહેશે.

આ પ્રસંગે હાજર ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બગીચાનું નામ પરશુરામ પાર્ક છે. આ એ પરશુરામ છે કે, જેમણે શસ્ત્ર સાથે શાસ્ત્રની પણ વિદ્યા આપી હતી. આ બગીચાનો સારામાં સારો ઉપયોગ થાય, સિનિયર સિટીઝનોને તેનાથી નિરાંતથી બેસવાની જગ્યા મળશે. તો સાથે જ રાજ્યમાં શરૂ થયેલ રસીકરણમાં તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. કોરોના સામે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે. સમાજને બચાવવાનું પવિત્ર કાર્ય પણ રસીકરણ છે, ત્યારે તમામ લોકો રસીકરણ કરે અને કરાવે તે સમયની જરૂરિયાત છે. તો સાથે જ ભાવનગરના મેયર કીર્તિ દાણીધારીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેર એ સર્કલ અને બગીચાઓનું નગર છે.

'પરશુરામ પાર્ક'નું લોકાર્પણ થવાથી શહેરની સુંદરતા ઓર વધી છે. 'વીર મોખડાજી'ની વીરતાથી આ પંથકનું રક્ષણ થયું હતું, તેથી તેમની પ્રત્યેની કૃતજ્ઞતા પણ આ તકે વ્યક્ત કરવામાં આવી હતી. આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા તેમજ નગરસેવકો તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story