મહુવા શહેરમાં પતિ અને પત્ની વચ્ચે હતો ઘરકંકાસ
ઘરકંકાસમાં 3 સંતાનની માતાએ બીજા લગ્ન કરી લીધા
ઉશ્કેરાયેલા પતિએ કરી પોતાના સાસુ-સસરાની હત્યા
ચકચારી હત્યાના કિસ્સામાં પોલીસ તપાસનો ધમધમાટ
પત્નીએ બીજા લગ્ન કરતાં પતિએ દાઝ રાખી : પોલીસ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં 3 સંતાનની માતાએ બીજા લગ્ન કરી લેતા પતિના હાથે થયેલી સાસુ-સસરાની હત્યાના ચકચારી કિસ્સામાં પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઇ ડોળાસીયા તેમજ તેમના પત્ની ભારતીબેન ડોળાસીયા બંન્ને પોતાના ઘરે હતા. તે વેળાએ તેમનો જમાઇ અજય ઘરે તેમની પત્નિ સાથેના ઘર કંકાસને લઇ સાસુ-સસરા સાથે રકઝક કરવા લાગ્યો હતો, ત્યારે અજયએ ઉશ્કેરાઇ જઇ સાસુ સસરા કંઇ સમજે તે પહેલા જ તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી લોહિલુહાણ કરી બન્નેની હત્યા નિપજાવી હતી.
હત્યા બાદ આરોપી જમાઇ અજય ફરાર થઇ ગયો હતો. દંપતિની હત્યાની જાણ પાડોશમાં થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. બનાવના પગલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી અજય અને તેમના પત્નિ વચ્ચે અણબનાવ હતો, જેમાં પત્નીએ પતિને તરછોડી બીજા લગ્ન કરી લીધા હતા. જેની દાઝ રાખી જમાઈએ સાસુ-સસરાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.