/connect-gujarat/media/post_banners/dec0156e8a97ca4c2d0a8e903ce25d85c46b7182afbc134cbe0aba300715088c.jpg)
ભાવનગરના ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચવા ગયેલી ફુલસરની મહિલાનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં રીક્ષા ચાલક દ્વારા ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર પાસે રહેતા દક્ષાબેન રાઠોડ નજીકના વેળાવદર ભાલ તાબેના ગણેશગઢ ગામે કટલેરી માલસામાનની ફેરી કરવા જઇ રહ્યા હતા. તે માટે ફુલસરના સાજણ આલગોતરની રીક્ષા બંધાવી હતી. પરંતુ કોઈ અગમ્ય કારણોસર ગણેશગઢથી ગોકુલપરા તરફ જવાના રોડ પર દક્ષાબેનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પતિને જાણ થઈ ત્યારે રીક્ષાચાલક સાજણે તેના પત્ની ઉપર લોખંડના પાઇપના ઘા મારી હત્યા કરી રીક્ષા લઈ નાસી છૂટયો હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી મૃતકના પતિએ ભાલ વેળાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં મૃતદેહ નજીકથી લોખંડનો પાઈપ મળી આવ્યો હતો. જેને આધારે વેળાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી રીક્ષા સાથે નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યાવહી હાથ ધરી છે.