સાળંગપુર ખાતે 2 દિવસીય કારોબારી બેઠક યોજાય
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું સમાપન
ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠકનું સમાપન
નવા પ્રદેશ ભાજપ પ્રમુખ અંગે હાલ કોઈ નિર્ણય નહીં
મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાય હતી. જેનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા BAPS સ્વામિનારયણ મંદિર-સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 2 દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ બેઠક અગાઉ એવી ચર્ચાઓ સેવાઈ રહી હતી કે, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે. જોકે, આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે.
કારણ કે, કારોબારીમાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. સાળંગપુર ખાતે મળેલી ગુજરાત પ્રદેશ ભાજપની 2 દિવસીય કારોબારી બેઠકનું સમાપન થયું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી પુર્ણેશ મોદી, પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જામનગરના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.