સાળંગપુર હનુમાનજી મંદિરે સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો
દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરાયો
51 હજાર કિલો નેચરલ કલરનો રંગોત્સવમાં કરાયો ઉપયોગ
500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર ઉત્સવની ઉજવણી
80 ફૂટ ઉંચેથી મંદિરના પટાંગણમાં ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51 હજાર કિલો નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70થી 80 ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.જેમાં 50 નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા.
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા.ત્યાર બાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. અલગ અલગ પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 જેટલા બ્લાસ્ટ કરાયા હતા.10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.જ્યારે 50થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી.ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. દાદાના સાનિધ્યમાં ધુળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.