/connect-gujarat/media/post_banners/040c699336f85b0a415043c2508a2e1be79b10998adf77cd4735c86647cd8eba.jpg)
દાહોદ જીલ્લામાંથી 2 અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. ઝાલોદ-લીમડી માર્ગ પર કાર પલટી મારી જતાં 2 યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઝાલોદ-સંતરામપુર માર્ગ પર ટ્રકને અકસ્માત નડતાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હતો. રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો નોંધાય રહ્યો છે, ત્યારે દાહોદ જીલ્લામાંથી અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના સામે આવી છે.
ઝાલોદ-લીમડી માર્ગ વચ્ચે કાર પલટી મારી ગઈ હતી. જેમાં 5 મિત્રો તેમના પૈકી એક મિત્રના જન્મ દિવસની ઉજવણી કરી કારમાં પરત જઈ રહ્યા હતા, ત્યારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે પલટી મારી ગઇ હતી. જેમાં અંકુર લખારા અને અંશુલ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત જીગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા, તારે હાલ તો પોલીસે અકસ્માતે 2 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ, દાહોદ જિલ્લાના ઝાલોદથી સંતરામપુર જતા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધડિયા ગામ નજીકથી પસાર થતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક રોડ સાઈડ ઉતરી ગઈ હતી. આ ઘટનામાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ઝાલોદ પોલીસ અને 108ના કર્મચારીઓની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.